કોઈપણ દુરોગામી અને કપરા ઉદેશ્યની પ્રાપ્તિ માટે ધીરજ અને આત્મબળ સાથે સાતત્ય બનાવી રાખવુ એટલે દ્રઢતા. લક્ષ્ય સિદ્ધિ માટે વચ્ચે આવતી તકલીફો અને બાધાઓથી નિરાશ થયા વિના આશાવાદી બની સતત સંઘર્ષ કરતા રહેવાથી જ સફળતાની પ્રાપ્તિ થાય છે.
મનોવૈજ્ઞાનિકો નો દાવો છે કે વ્યક્તિની સફળતા પાછળ ના અલગ અલગ ગુણોમાં દ્રઢતા એ સૌથી મહત્વનો ગુણ છે. દ્રઢતા બે પ્રકારની હોય છે એક શારીરિક અને બીજી માનસિક . શારીરિક દ્રઢતા એટલે કે કોઈપણ પ્રકારના પરિશ્રમ કરવા માટે શારીરિક રીતે મજબૂત બાંધો.
એ જ રીતે માનસિક દ્રઢતા નો અર્થ છે કે આપણે જે સંકલ્પ કર્યો હોય તેની ઉપર કાયમ રહેવું. અન્ય ને જીતવાની ઈચ્છા રાખનારે સૌથી પહેલાં પોતાના મન પર વિજય મેળવવો જરુરી છે. જો સંકલ્પ આપણો હોય તો તેને સિદ્ધ કરવાની સૌથી મોટી જવાબદારી પણ આપણી પોતાની હોય છે. ભલેને પછી તેમાં સફળ થવા ગમે તેટલા સંઘર્ષનો સામનો કરવો પડે. જો વ્યક્તિ માનસિક રીતે મજબુત અને મક્કમ ન હોય તો તે ગમે તેટલો શારીરિક રીતે સશક્ત હોય પરંતુ તે કોઈ લક્ષ્યને સાધી શકતો નથી. કોઈપણ કાર્યની સફળતા કે નિષ્ફળતા નો મુખ્ય આધાર એ આપણા દ્રઢ નિશ્ચયી ઉપર રહેલો છે. દ્રઢતાને લઈને આપણી પાસે બે મોટા ઉદાહરણો છે એક છે પ્રભુ શ્રીરામ ભક્ત હનુમાન અને બીજા આપણા વિવેકાનંદ કેન્દ્રના સ્થાપક માનનીય એકનાથજી.
પહેલું સુખ તે જાતે નર્યા જો વ્યક્તિ પોતે જ બીજા પર અવલંબિત હોય જે પોતાની રક્ષા નથી કરી શકતો તો અન્યનું ભલું કેવી રીતે કરી શકે? કઠોર પરિશ્રમ દ્વારા જ આપણે જીવનમાં સફળતા મેળવી શકીએ છીએ.
જ્યારે લક્ષ્મણજી મુર્છીત થયા હતા ત્યારે ભારતના દક્ષિણ છેડેથી છેક ઉત્તરમાં હિમાલય સુધી એક જ રાતમાં જઈ અને સંજીવની બુટ્ટી લાવીને પાછું આવવાનું એક દૂર્ગમ કાર્ય તેઓએ સ્વીકાર્યું હતું. તેમના દ્રઢતા પૂર્વકના સંકલ્પ અને તેમની પ્રભુ શ્રીરામ પર અતૂટ શ્રદ્ધાને પરિણામે તેઓ આ દુર્ગમ કાર્યમાં અનેક અડચણો છતા સફળ થયા હતા.
એવી જ રીતે કન્યાકુમારીમાં એક શીલા ઉપર વિવેકાનંદ નું સ્મારક ઊભું કરવું એ અતિ દુર્ગમ કાર્ય હતું. માનનીય એકનાથજીના દ્વઢ સંકલ્પને પરિણામે અનેક ઉપાધીઓ પર વિજય મેળવી ” વિવેકાનંદ શીલા સ્મારક ” ની રચના કરી હતી. અને ફક્ત ત્યાં જ ના રોકાતા તેઓએ એથી પણ આગળ જીવંત સ્મારક એટલે કે ” વિવેકાનંદ કેન્દ્ર ” ની રચના કરી. વિવેકાનંદ કેન્દ્ર નો મુખ્ય ઉદેશ્ય સ્વામી વિવેકાનંદની પરિકલ્પના અનુસાર વર્તમાન ભારતમાં નચિકેતાઓ સોધી તેમના પ્રશિક્ષણ દ્વારા વિવેકાનંદ કેન્દ્રના માધ્યમથી ” વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર પુનરુત્થાન ” ના ભારત કલ્યાણથી વિશ્વ કલ્યાણના કાર્યને આકાર આપવાનો છે.
આજે આપણે સૌ કાર્યકર્તા KPS માં જોડાયા છીએ તેનું પહેલું ચરણ એ મોઢેરા સૂર્ય મંદિરના 108 સૂર્યનમસ્કાર હતા. સાંભળવામાં વાત એકદમ સાધારણ લાગે પરંતુ 108 સૂર્યનમસ્કાર કરવા તે શારીરિક અને માનસિક દ્રઢતા વિના સંભવ નથી. અને આજે દોઢ વર્ષ પછી આ KPS માં આપની હાજરી એ તમારી દ્રઢતાની સાતત્યતા સુચવે છે.
દ્રઢતા એ મૂળ પાયાનો ગુણ છે જેમાં કાયમ રહેવાથી વ્યક્તિ માં ઉદ્યમ સાહસ ધૈર્ય બુદ્ધિ શક્તિ અને પરાક્રમ જેવા મુળ પાયાના ગુણોનું સર્જન થાય છે. એ માટે સંસ્કૃત નો એક સુંદર શ્લોક છે
उद्यम: साहसं धैर्य, बुद्धि: शक्ति: पराक्रम:।
षडेते यत्र विद्यन्ते, तत्र देव: सहायकम्।।
અસ્તુ
ભારત માતાકી જય …..